
સુરેન્દ્રનગર જીલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે બીજે દિવસે પણ મેઘમહેર યથાવત જોવા મળી હતી જેમાં લખતર શહેરમાં બપોરના સમયે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ત્યારે લખતર શહેરની અંદર તંત્ર દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી અંગે કોઇ આગોતરું આયોજન કરવામાં ન આવતા લોકોને હાલાકીનો સામનો કરવોનો વારો આવ્યો છે.
આ અંગે મળતી વિગત મુજબ લખતર શહેરના જીન પાસે આવેલ રબારી શેરી વિસ્તારમાં તાજેતરમાં સામાન્ય વરસાદના કારણે રાત્રે દરમિયાન વરસાદી પાણી ભરાઈ જતા વરસાદી પાણીનો કોઈ નિકાલ નહીં હોવાના કારણે તંત્રને આવેદનપત્ર આપીને વિસ્તારના રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
જે રજુઆત બાદ તંત્ર દ્વારા સ્થળ તપાસ કરીને યોગ્ય નિરાકરણ નહીં આવતા વિસ્તારના રહીશોમાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠવ્યા હતાં.રજુઆત બાદ તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આ આગામી દિવસોમાં વધુ વરસાદ પડે તો રહીશોને ઘણી મુશ્કેલી સર્જાય તેવી દહેશત સ્થાનિકોમાં પ્રવર્તી છે.
જ્યારે હાલમાં તંત્ર દ્વારા પાણી કાઢવાનું પંપ મુકીને પાણી નિકાલની કામગીરી કરવામાં આવી રહી હોવાના દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ આજે આ દાવા પોકળ સાબિત થયા છે અને સમગ્ર વિસ્તારમાં ઢીચણ સમા પાણી ભરેલું જોવા મળ્યા છે. શુક્રવારે બપોર બાદ પડેલા ભારે વરસાદના કારણે ઘરો, માતાજીના મઢો, ફળિયા સહિત શેરીઓની અંદર પણ વરસાદી પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

